ઓપરેશન સિંદૂર સાથે સંકળાયેલા કર્નલ સોફિયા વિશે વિવાદીત નિવેદન મામલે આજરોજ (16 મે) રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહ અને રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય શાહ ગદ્દાર છે, તેવા પોસ્ટરને જૂતા મારવામાં આવ્યા હતાં અને બાદમાં તેના ફોટાવાળા પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યુ હતું કે, સમગ્ર ભારતની જનતા જ્યારે દેશના વારિષ્ઠ સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહી છે, ત્યારે ભાજપના મધ્યપ્રદેશ રાજ્યના મંત્રી વિજય શાહએ દેશની જાંબાજ દીકરી ઉપર અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે. ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ ફક્ત 4 કલાકમાં એફ.આઇ.આર. નોંધવા અને ગુનો દાખલ કરવા હુકમ કર્યો છતાં ભાજપ સરકાર અને મોદી શા માટે મૌન છે?
સામાન્ય વ્યક્તિ કે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષના આગેવાને જો વિજય શાહ જેવા શબ્દો ઉચ્ચારી અને ભારતની દીકરીનું અપમાન કર્યું હોત તો તાત્કાલિક ગુનો દાખલ થઈ ગયો હોત અને ધરપકડ કરી મોટી મોટી કલમો લગાડી લીધી હોત. ભાજપની બેવડી નીતિઓ ક્યાં સુધી ભારતની પ્રજાએ સહન કરવાની છે? વિજય શાહ સામે નામદાર સુપ્રીમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે, પણ 56ની છાતીવાળા મોદીએ ચુપકીદી સાધી છે.