પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓ રાજકોટ આવી સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ 2024 અંગે રૂપરેખા રજૂ કરી હતી. સરકાર જે યોજના બનાવે છે તે કોઈને કોઈ રીતે એક બીજી યોજના સાથે સંકળાયેલ હોય છે અને વર્તમાન સરકાર આગામી વર્ષોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી યોજનાઓ બનાવી રહી છે. આ વખતના બજેટમાં ખેડૂત, યુવાનો, મહિલાઓ વેપારીઓ સહિત તમામ વર્ગને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થવા અંગે રાજીવપ્રતાપ રૂડીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એરપોર્ટનું નામ ઇન્ટરનેશનલ હોય એટલે એનો મતલબ એવો નથી કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ જ થાય. પટનાનું જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ 17 વર્ષથી છે અને અત્યારસુધી ત્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી નથી. યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ વિમાની કંપનીઓમાં મુશ્કેલીઓ વધી છે. અનેક એરલાઇન્સે તેની વિમાનોની સંખ્યા ઘટાડી દીધી છે. જેના કારણે ફ્લાઇટમાં ઘટાડો થયો છે. એરલાઇન્સ ડિમાન્ડ અને સપ્લાય પર આધારીત હોય છે. જેથી સમયાંતરે ફ્લાઇટ શરૂ કરવામાં આવતી હોય છે.