રાજકોટના ભગવતીપરા વિસ્તારની નગમા નામની યુવતીની હત્યાનો ભાંડો ન ફૂટે તે માટે નગમાના માતા-પિતા અને ભાઇની પણ ઠંડે કલેજે હત્યાના ગુનામાં વઢવાણના તાંત્રિક ભૂવા નવલસિંહ કનુભાઇ ચાવડા સહિતના આરોપીઓ જેલહવાલે કરાયા હતા. દરમિયાનમાં મદદગારી કરનાર જીગર ગોહેલે જામીન અરજી કરતાં અદાલતે તે ફગાવી દીધી છે.
આ કેસની વિગત એવી છે કે, તાંત્રિક ભૂવા નવલસિંહને સ્ત્રીમિત્ર નગમા લગ્ન કરવા દબાણ કરતી હોવાથી મેલડી માતાના મઢમાં લઇ જઇ બોટલમાંથી ઝેરી પાઉડરવાળું પાણી પીવડાવી તેની હત્યા કરી નાખ્યા બાદ લાશને કારમાં વાંકાનેર લઇ જઇ ભાણેજ શક્તિરાજ ઉર્ફે કાનાએ ખોદેલા ખાડામાં દાટી દીધી હતી. ત્યારબાદ નગમાના પરિવારજનોએ નવલસિંહનો સંપર્ક કરતાં તેમણે ત્રણેક માસમાં નગમા પરત આવી જશે તેમ જણાવ્યું હતું, પરંતુ નગમા પરત નહીં આવતા પરિવારજનોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. આથી નવલસિંહને પોતાનો ભાંડો ફૂટી જશે તેમ જણાતા કૌટુંબિક સાળા જીગર ભનુભાઇ ગોહેલની મદદથી નગમાના પિતા કાદરભાઇ અલીભાઇ, માતા ફરીદાબેન કાદરભાઇ અને ભાઇ આસિફ કાદરભાઇને પણ વિધિ કરવાના બહાને પડધરીના રામપર ગામ નજીક ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખી હતી. જે કેસમાં જીગર ગોહેલે જામીન પર છૂટવા અરજી કરી હતી. જે સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે જીગરની જામીન અરજી નામંજૂર કરી છે.