રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 326 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલનુ 9 ફેબ્રુઆરી, 2025 ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે તેના એક મહિનામાં જ અસુવિધાઓ સામે આવી છે. સોમવારે એરપોર્ટમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા મુસાફરો માટે વોશરૂમ અને પીવાનું પાણી બંધ થઈ ગયું હતું અને તેને કારણે અનેક હવાઈ મુસાફરોએ પોતાનો ઉગ્ર રોસ સોશિયલ મિડીયા પર વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાઇપલાઇનનું રીપેરીંગ કરવામાં આવ્યું હતુ અને બાદમા પીવાનું પાણી અને વોશરૂમમાં પાણી શરૂ થયું હતુ. મુસાફરોની ફરિયાદ મુજબ ગઈકાલે પૂરો દિવસ પાણી બંધ હતું જોકે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોનું કહેવું છે કે થોડો સમય માટે જ આ સમસ્યા હતી બાદમાં પાઇપલાઇન રિપેર થઈ જતા પાણી વિતરણ શરૂ થઈ ગયું હતું.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઈન્ડિગો અને એર ઇન્ડિયા સહિતની એરલાઇન્સ મળી મુંબઈની 5, દિલ્હીની 2 ઉપરાંત હૈદરાબાદ, ગોવા, પુણે અને બેંગ્લોર જવા માટે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. અહીંથી દૈનિક 3000 થી વધુ મુસાફરોની અવર જવર રહે છે. એક વર્ષમા 1 મિલિયન મુસાફરોની અવરજવરનો રેકોર્ડ તાજેતરમાં જ બનાવ્યો છે ત્યારે પાણી જેવી પ્રાથમિક સુવિધામાં વિક્ષેપ પડ્યો છે.