પતિ અને પિતાની જવાબદારીઓ તો ઘણી જ છે, સંઘર્ષ પણ અનેક ઘણો છે, અંજારનો એક પતિ કે પિતા છેલ્લા બે વર્ષથી પોતાની સગીર પુત્રી અને પ્રેમાળ પત્નીને શોધવા આકાશ-પાતાળ એક કરી રહ્યો છે, કચ્છ પોલીસ પણ એની સાથે ખભેખભા મિલાવીને સહયોગ આપી રહી છે.
આરોપીનું નામ-સરનામું પણ ઉપલબ્ધ છે એટલું જ નહીં પિતા-પોલીસ ત્યાં સુધી પહોંચી પણ ગયા છે છતાં અફસોસ! નથી મા-દિકરીનો કોઇ પત્તો કે નથી પિતાની વ્યથાનો અંત… આ બનાવમાં ન્યાયાલયે પણ ખુબ મહત્ત્વની ભૂમિકા ભજવી પોલીસને તપાસમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડના અધિકારીને જોડવા ભલામણ કરીને આખા પ્રકરણની ગંભીરતા સ્પષ્ટ કરી દીધી છે.
અંજારની ઘટના કોરોનામાં મુંબઇમાં ધંધા ભાંગતા વતન અંજાર આવેલા અને રેડીમેઇડ વસ્ત્રોની દુકાનમાં કામ કરતાં શામજી નારણ મેવાડાનો સીધો જ આક્ષેપ છે કે, ‘સોશિયલ મીડિયા’માં જાળ ફેલાવી મહારાષ્ટ્ર અને કલકત્તા સાથે સંબંધ ધરાવતા કુખ્યાત મોહમ્મદ અનિશ સૈયદ નામના આરોપીએ આજથી બરોબર બે વર્ષ પહેલાં છઠ્ઠી જૂન-2023નાં પત્ની અંજના (ઉ.વ. 37) અને સાત વર્ષની પુત્રીને ભગાવી ગયો છે, મા-દિકરી બે વર્ષથી ગુમ છે અને આરોપી પર આવી રીતે ત્રણથી ચાર મહિલાઓને ભગાવી જવાનો આક્ષેપ છે. તેથી આ આખું કોઇ આયોજનબદ્ધ કાવતરું હોઇ શકે. અદાલતે એ વાત સ્વીકારીને હવે તપાસમાં એ.ટી.એસ.ને જોડવાનો આદ્દેશ કર્યો છે.
પોલીસની તપાસ શામજી મેવાડાની વ્યથા અને પોતાના પરિવારને શોધવાની તત્પરતા જુઓ કે, પોલીસ સાથે બે વખત એ કલકત્તા જઇ આવ્યા છે, પોલીસે મહારાષ્ટ્ર અને બંગાળ પોલીસની મદદ માંગતા મહારાષ્ટ્રએ સહકાર આપી કહેવાતા આરોપી મોહમ્મદ અનિશની પત્નીની ઘેર જઇને ધરપકડ કરીને નવ દિવસ પૂછપરછ કરી છે પણ અનિશના ફોન નંબર સિવાય કોઇ જ સગડ મળ્યા નથી અને અંજનાને ઘેરથી પોતાના ફોન સાથે ન લેવાની સુચના આપનારા આ આરોપીએ તેનો ફોન પણ બંધ રાખ્યો હોય એ સ્વાભાવિક છે. શામજી મેવાડા હાલ જે કોઇ મદદની તૈયાર બતાવે તેને પોતાની આપવિતી વર્ણવી ગમે તેમ થાય પુત્રી અને પત્નીને શોધી આપવા કરગરે છે.