શ્રાવણ મહિનામાં દ્વારકા, સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા જતા હોય ટ્રેનમાં ભારે ભીડ થતી હોય છે. તેમાં પણ જન્માષ્ટમીના તહેવારો પર લોકો ધાર્મિક સ્થળોએ જતા હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમીના પર્વ પર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ રેલવે ડિવિઝન સૂત્રના જણાવ્યા મુજબ, અમદાવાદ-ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેનના નંબર 09453/09454 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ છે. આ ટ્રેન બંને તરફથી બે ટ્રિપ દોડાવવામાં આવશે. અમદાવાદથી શરૂ થનાર 09453 નંબરની ટ્રેન તા.25 ઓગસ્ટના સવારે 7.45 કલાકે રવાના થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે ઓખા પહોંચશે. જ્યારે 09454 નંબરની ટ્રેન ઓખાથી તા.26 ઓગસ્ટના સવારે 5.30 કલાકે રવાના થશે અને તે જ દિવસે બપોરે 3 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર હોલ્ટ કરશે. આ ટ્રેનનું બુકિંગ તા.31-7થી શરૂ કરવામાં આવશે.