IPL-2025 આખરે પૂરી થવાના આરે આવી ગઈ છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાવવાની છે. બન્ને ટીમ પોઇન્ટ્સ ટેબલની ટૉપર રહી. શ્રેયસની આગેવાનીની પંજાબ પહેલા નંબરે તો રજતના નેતૃત્વની બેંગલુરુ બીજા નંબરે રહી. PBKS 11 વર્ષે ફાઈનલમાં પહોંચી, તો RCB 9 વર્ષે ટાઇટલ મેચ રમશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબનો રેકોર્ડ જોરદાર રહ્યો છે. જ્યારે બેંગલુરુનો રેકોર્ડ ઠીક-ઠાક રહ્યો છે. અમે નવું સ્ટેડિયમ બન્યા પછીના મેચનાં આંકડા લીધા છે અને તેનું એનાલિસિસ કર્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે અત્યાર સુધી કુલ 7 મેચ રમી છે. જેમાં ટીમ 5 મેચ જીતી, તો 2 મેચ હારી છે. ટીમનો પરાજય અહીં 2021માં છેલ્લે આવ્યો હતો. ત્યારે તેઓ કોલકાતા અને દિલ્હી સામે હાર્યા હતા. તો RCB સામે તેઓ આ સ્ટેડિયમમાં 2021માં રમ્યા હતા. જ્યાં પંજાબે તેમની સામે 34 રને જીત મેળવી હતી.
છેલ્લી ત્રણ મેચની વાત કરીએ તો પંજાબે નમો સ્ટેડિયમમાં GTને બે વખત હરાવ્યું છે. જેમાં ગયા વર્ષે 2024માં ટીમે ગુજરાત સામે 200 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. એ મેચનો હીરો શશાંક સિંહ રહ્યો હતો. તેણે 29 બોલમાં 61 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તો આ વર્ષે ગુજરાતની પહેલી હોમ મેચ પણ પંજાબ સામે હતી, જેમાં PBKSએ પહેલી બેટિંગ કરતા 243 રન ફટકાર્યા. આ ગ્રાઉન્ડ પર હાઇએસ્ટ સ્કોર આ છે. જેના જવાબમાં GT 232 રન બનાવી શક્યું અને ટીમ 11 રને હારી ગઈ. ત્યારે મેચનો હીરો કેપ્ટન શ્રેયસ અય્યર રહ્યો હતો. અય્યરે 42 બોલમાં 97* રનની જબરદસ્ત ઇનિંગ રમી.