રાજકોટમાં ઉનાળાની શરૂઆતે પણ રોગચાળો સતત વકરી રહ્યો છે. લાંબા સમય બાદ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના 1-1 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં મનપાનાં ચોપડે શરદી-ઉધરસના 926 સહિત વિવિધ રોગના કુલ 1490 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા-ઉલટીના 249 અને સામાન્ય તાવના 312 કેસ સામેલ છે. જોકે આ આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોના છે, ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 7,500 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
મળતી માહિતી અનુસાર છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગનાં 1490 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસના 926 કેસ, ઝાડા-ઉલટીના 249 અને સામાન્ય તાવનાં 312 કેસ સામેલ છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયા ત્રણેયનાં પણ 1-1 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેમજ ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.