અમરેલીની શાળામાં ધોરણ-9ની વિદ્યાર્થિનીનું ચાલુ પરીક્ષાએ મોત

અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતાં શાળાના સ્ટાફ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થયો છે, જોકે, અમરેલીની વિદ્યાર્થિનીના મૃત્યુના કારણને લઈ તબીબે કહ્યું હતું કે પીએમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ કહી શકાશે.

અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. ધોરણ-9માં અભ્યાસ કરતી સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની પણ આજે પરીક્ષા આપવા પહોંચી હતી. સાક્ષી પરીક્ષાખંડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીના મોતને પગલે શાળાની અન્ય વિદ્યાર્થિનીઓ અને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *