શહેરમાં ભાવનગર રોડ પર સરધાર પાસેના હોડથલી ગામે રહેતા રાજેશભાઇ બાબુભાઇ પરમાર (ઉ.45)એ તેના ગામમાં કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના જમાદાર હરપાલભાઇ સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક રાજેશભાઇ ખેતીકામ કરતા હતા અને શનિવારે ઘેરથી નીકળી ગયા બાદ લાપતા થયા હતા. બનાવમાં તેના પરિવારે તેની શોધખોળ કરી હતી જેમાં તેના ગામમાં સ્કૂલ તરફ જવાના માર્ગ પર કૂવામાંથી લાશ મળી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં ભાવનગર રોડ પર થોરાળામાં ગળાફાંસો ખાઇ પ્રૌઢાએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. થોરાળામાં રહેતા અમરીબેન કમાભાઇ ગઢવી (ઉ.52)એ પોતાના ઘેર બાથરૂમની છતમાં લોખંડના પાઇપમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જીંજાળા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સિવિલમાં ખસેડી પ્રૌઢાના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.