રાજકોટમાં આગામી તા. 25ના રોજ વડાપ્રધાનના હસ્તે એઇમ્સ અને ઝનાના હોસ્પિટલના બિલ્ડિંગના ઉદ્દઘાટનનો કાર્યક્રમ નક્કી થયો છે. જેમાં મનપા હસ્તક રહેલ અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું લોકાર્પણ થશે કે નહીં? તેને લઈને અવઢવ ચાલી રહી હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આનાથી રૂડો અવસર કયો હોય? ચોક્કસ PM મોદીના હસ્તે અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવશે. 2047નું ભારત કેવું હોવું જોઈએ, તેને ધ્યાનમાં રાખીને બનાવેલા સ્માર્ટ સિટી અને અટલ સરોવર જોઈને લોકો ખૂશ થઈ જશે.
જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, હજુપણ પ્રોજેક્ટની 10 ટકાથી વધુ કામગીરી બાકી હોવાથી તે પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે મ્યુ. કમિશ્નર આનંદ પટેલે કામ તાત્કાલીક પૂરૂ કરવા બે સુટી ઇજનેર, બે ઇન્ચાર્જ સિટી ઇજનેર સહિત 33 ઇજનેરોની નિમણૂંક કરી છે. જેને કારણે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ અટલ સરોવરનું લોકાર્પણ તા. 25-2-2024ના રોજ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ માટે જ અધિકારીઓને વધારાની કામગીરી સોંપીને બાકીના કામ તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.