રાજકોટમાં સગર્ભાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી પરિણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માત્ર છ મહિના પહેલાં જ પરિણીતાના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. જો કે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાના લગ્ન છ મહિના પહેલાં જ થયા હતા રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી જીયાબેન અમિતભાઇ રાઠોડ (ઉ.વ.23) નામની પરિણીતાના લગ્ન છ મહિના પહેલાં જ થયા હતા અને હાલમાં તે ગર્ભવતી હોવાથી તેના ઘરે પારણું બંધાવાનું હતું અને પરિવારમાં ખુશીઓનો માહોલ હતો. જો કે, ગઈકાલે રહસ્યમય સંજોગોમાં તેણે પોતાના જ રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો જ્યારે રૂમમાં ગયા ત્યારે પરિણીતાને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત બેભાન હાલતમાં પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, તેણીનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના પતિ સોની કામ કરતા હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *