રાજકોટમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે જેમાં સગાઇ બાદ પરિવાર લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીતો ગાય એ પહેલા રૈયાધાર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જયારે રાજકોટ નજીક ખીજડીયા ગામે વૃદ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લેતા બન્ને બનાવમાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રોહિત રઘુભાઈ કુવરીયા (ઉં.વ.20) ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે જાણ થતા 108ને જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રોહિત મૂળ રાધનપુરનો વતની હતો. અહીં માતા પિતા સાથે રહી મજૂરી કામ કરતો હતો. ગઈકાલે રાત્રે માતા-પિતા ઘરે હાજર ન હતા ત્યારે રોહિતે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી રોહિતની સગાઈ તેના વતન રાધનપુર ખાતે રહેતી યુવતી સાથે થઈ હતી અને ટૂંક સમયમાં જ તેના લગ્ન થવાના હતા પરિવારજનો લગ્નની તારીખ નક્કી કરી લગ્ન ગીત ગાય એ પહેલા યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીન છવાઈ જવા પામી છે. જો કે અપઘાત અંગે કારણ જાણવા ન મળતા યુનિવર્સિટિ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ખીજડીયાના વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું ખીજડીયાના બાબુભાઈ સાવલીયા (ઉ.વ.63)એ ગઈકાલે સાંજે 6:30 વાગ્યા આસપાસ પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજ રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાબુભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે જો કે વૃદ્ધે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.