સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે.છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન ચલાવવામાં આવ્યું હતુ. જે અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ દરેક ઘર સુધી પહોંચીને શિક્ષણ,રસ્તા,આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા,જેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે.
જનતાને વોર્ડ દીઠ ‘જનમંચ’નું પ્લેટફોર્મ આપ્યું
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની વચ્ચે જઈને આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ મંચ પરથી મળેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે ભાજપ સરકારના સત્તાધીશો સામે કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.આ મેનિફેસ્ટો એટલે સત્ય,સમાનતા,વિકાસ અને સામાજિક ન્યાય પ્રત્યેની અમારી કટિબદ્ધતા છે.કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે.આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે અને નગર રચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે.