એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સી ANIએ મંગળવારે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાએ નવા CEOની શોધ પણ શરૂ કરી દીધી છે.
સૂત્રો અનુસાર, વિલ્સન સપ્ટેમ્બરમાં પોતાનું પદ છોડી શકે છે. ગયા અઠવાડિયે યોજાયેલી કંપનીની બોર્ડ મીટિંગમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. વિલ્સનને સપ્ટેમ્બર 2022માં એર ઇન્ડિયાના CEO અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કરાર 5 વર્ષ માટે, જુલાઈ 2027 સુધીનો હતો.
રિપોર્ટ્સ અનુસાર, એરલાઇન અમદાવાદ પ્લેન ક્રેશની અંતિમ તપાસ રિપોર્ટ આવ્યા બાદ નવા CEOની નિમણૂક કરશે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુલાઈ 2025 ના રોજ દુર્ઘટનાનો પ્રારંભિક રિપોર્ટ જાહેર કર્યો હતો. અંતિમ રિપોર્ટ જૂન 2026 માં આવી શકે છે.