રાજકોટમાં જામનગર રોડ પર આવેલા બ્રહ્મનાદ સોસાયટીમાં રહેતાં હોમગાર્ડ જવાને નવી કોર્ટ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. પત્નીના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે રહેતા બંસીભાઇ રાજ્યગુરુએ નવી કોર્ટ રોડ પર ફિનાઈલ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. બંસીભાઇને સંતાનમાં એક દીકરો છે. તેણે આક્ષેપ કર્યો હતો કે, પત્ની પૂજા દ્વારા તેને ત્રાસ હોઇ તેથી આ પગલું ભર્યું છે, પત્ની વારંવાર ઝઘડો કરી માવતરે જતી રહેતી હોઇ તેમજ છૂટાછેડા લેવા હોય તો દસ લાખ આપવા પડશે તેવું કહેતી હોઇ તેમજ સાસુ જયશ્રીબેન, સસરા સંજયભાઇ, સાળા વાસુભાઈ પણ હેરાન કરતાં હોઇ કંટાળીને પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.