અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે દાવો કર્યો છે કે ભારત સાથેની ડીલ કોઈ નીતિગત વિવાદને કારણે અટકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન ન કરવો તે તેનું કારણ છે. લુટનિકના મતે, ટ્રમ્પ ઈચ્છતા હતા કે મોદી પોતે તેમની સાથે વાત કરીને ડીલ ફાઇનલ કરે, પરંતુ આવું ન થતાં ટ્રમ્પે તેને પોતાના ‘ઇગો’ પર લઈ લીધું.
બીજી તરફ, ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું ગણાવ્યું છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે PM મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ 2025માં 8 વખત ફોન પર વાત કરી ચૂક્યા છે.
લીડરશીપ સ્તરે કમ્યુનિકેશન બની રહ્યો છે: MEA
રણધીર જયસ્વાલે કહ્યું, “અમે આ કમેન્ટ્સ જોઈ છે. ભારત અને અમેરિકા 13 ફેબ્રુઆરી, 2025 થી દ્વિપક્ષીય વેપાર કરાર માટે પ્રતિબદ્ધ છે. વાટાઘાટોના ઘણા રાઉન્ડ થઈ ચૂક્યા છે અને ઘણી વખત અમે ડીલની નજીક પહોંચ્યા છીએ. રિપોર્ટ કરાયેલી કમેન્ટ્સમાં આ ચર્ચાઓનું વર્ણન યોગ્ય નથી.’
જયસ્વાલે વધુમાં કહ્યું કે, ‘ભારત બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક સોદા માટે પ્રતિબદ્ધ છે. વળી, પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ 2025માં 8 વખત ફોન પર વાત કરી ચૂક્યા છે, જેમાં વ્યાપક ભાગીદારીના વિવિધ પાસાઓ આવરી લેવાયા હતા.’
MEA એ સ્પષ્ટ કર્યું કે ભારત પરસ્પર ફાયદાકારક ટ્રેડ ડીલ પર આગળ વધવા માગે છે. બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ રહી શકે છે. મોદી-ટ્રમ્પની 8 વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે લીડરશીપ સ્તરે કમ્યુનિકેશન જળવાઈ રહ્યો છે.