સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ સરકાર દ્વારા ખાદીની ખરીદીમાં 25 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધી જયંતીના દિવસે રાજકારણીઓ તેમજ સામાન્ય લોકો દ્વારા 14 લાખની ખાદી સહિતની સ્વદેશી ચીજ-વસ્તુઓની ખરીદી કરી હતી. પરંતુ, બીજા દિવસથી ખાદી સહિતની ચીજ-વસ્તુઓના વેચાણમાં ક્રમશઃ ઘટાડો નોંધાયો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં “નારી વંદના” કાર્યક્રમમાં વડોદરામાં આવેલા વડાપ્રધાને સ્વદેશી ચીજ-વસ્તુઓ ખરીદી કરવા માટે અપીલ કરી હતી.
શહેરના રાવપુરા રોડ ઉપર આવેલ ખાદી ગ્રામોદ્યોગમાં ખાદી ગાંધી જયંતીના દિવસે ખાદી સહિતની ચીજ-વસ્તુઓ ખરીદવા માટે વડોદરાના સાંસદ, ધારાસભ્યો સહિત વિવિધ પક્ષના રાજકીય અગ્રણીઓ સહિત ખાદી પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ ગાંધી જયંતીના દિવસે વડોદરા ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદી સહિતની ચીજવસ્તુઓ મનમૂકીને ખરીદી કરી હતી અને ગાંધી પ્રેમ બતાવ્યો હતો. આ ખાદી પ્રેમ બરકરાર રહ્યો ન હતો અને બીજા દિવસે ખાદીના વેચાણમાં 50 ટકા ઘટાડો થઇ ગયો હતો.