ઉદ્યોગપતિ ડૉ. સંજય મુંજપરા રૂ. 24 કરોડના ખર્ચે અમરેલીના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામની કાયપલટ કરશે. ગામમાં વિવિધ વિકાસ કાર્યો કરાશે જેનું ખાતમુહૂર્ત આજે રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 25 કરોડના ખર્ચે ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ અને CCTV સહિતની સુવિધાઓ ઊભી કરાશે.
વતનમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા સંકલ્પ લીધો મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરનાર ડૉ. સંજય મુંજપરાએ ગ્રામીણ વિકાસ અંગે ઊંડી સમજ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના વતનમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા, તેની કાયમી જાળવણી કરવા અને ખેતી ક્ષેત્રે વિજ્ઞાન-ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તથા સંલગ્ન ઉદ્યોગો વિકસાવવાનો સંકલ્પ લીધો છે.
કૃષ્ણગઢ ગામની સ્થાપના મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરી હતી. ગીર કાંઠા પર આવેલું આ ગામ આશરે બે હજારની વસ્તી ધરાવે છે, જેમાંથી અડધી વસ્તી રોજગારી માટે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સ્થાયી થઈ છે. આ ગામ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. લગભગ 52 હજાર એકર જેટલો જંગલ વિસ્તાર અને નયનરમ્ય ડેમ (તળાવ) આ વિસ્તારની શોભામાં વધારો કરે છે. રાત્રિના સમયે ગીરના સિંહો પણ ગામ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે.