યુદ્ધ મુદ્દે પાકિસ્તાની PMની ડંફાસ

શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને દુશ્મન ગણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારત સાથેના સંઘર્ષમાં જીત મેળવી છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હવે શાંતિ ઇચ્છે છે.

શાહબાઝે કહ્યું કે તેમણે પહેલગામ હુમલાની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની અપીલ કરી હતી, પરંતુ ભારતે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને દુર્ઘટનાનો રાજકીય લાભ લીધો.

શરીફે કહ્યું કે તેમણે ગયા વર્ષે યુએનના મંચ પરથી ચેતવણી આપી હતી કે પાકિસ્તાન કોઈપણ બાહ્ય હુમલાને સહન કરશે નહીં. તેમણે કહ્યું કે તેમની ચેતવણી સાચી સાબિત થઈ. આ વર્ષના મે મહિનામાં, પાકિસ્તાન પર ઉશ્કેરણી વિના હુમલો કરવામાં આવ્યો હતો.

શાહબાઝે દાવો કર્યો હતો કે સંઘર્ષ દરમિયાન મજબૂત સ્થિતિમાં હોવા છતાં પાકિસ્તાને યુદ્ધવિરામને ટેકો આપ્યો હતો. તેમણે યુએસ પ્રમુખ ટ્રમ્પનો આભાર માનતા કહ્યું કે તેમના હસ્તક્ષેપ વિના, સમગ્ર ક્ષેત્રમાં એક મોટું યુદ્ધ ફાટી શક્યું હોત.

શાહબાઝે કહ્યું કે પાકિસ્તાને ટ્રમ્પને તેમના શાંતિ પ્રયાસોને કારણે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા, જેના કારણે સાઉથ એશિયામાં વિનાશક યુદ્ધ ટળ્યું.

શાહબાઝે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે વિવાદાસ્પદ મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે સાઉથ એશિયાને ઉશ્કેરણીજનક નેતાઓની નહીં, પણ સમજદાર નેતાઓની જરૂર છે.

શરીફે કહ્યું- ભારતે એકપક્ષીય રીતે સિંધુ જળ સંધિ અટકાવી પીએમ શાહબાઝે ભારત પર સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે રોકવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ માત્ર સંધિનું ઉલ્લંઘન નથી પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ ઉલ્લંઘન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *