રાજકોટની 90 વર્ષ જૂની લાખાજીરાજ શાકમાર્કેટ જર્જરિત થતાં 2019થી ખાલી કરાવવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તે વિવાદનો અંત આવે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે લાખાજીરાજ શાકમાર્કેટ ખાલી કરાવવા લીલીઝંડી આપી દેતા હવે નોરતાં બાદ કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટની લાખાજીરાજ શાકમાર્કેટ જર્જરિત બની જતા બાંધકામ શાખાએ માર્કેટ ખાલી કરવા રિપોર્ટ આપ્યો હતો. જેના આધારે કમિશનર તુષાર સુમેરાએ માર્કેટ ખાલી કરાવવા આદેશ આપ્યો હતો. જેની સામે વેપારીઓએ અદાલતનો આશરો લેતા કામગીરી અટકી પડી હતી. ત્યારબાદ હવે મ્યુનિસિપલ કમિશનરે તુષાર સુમેરાએ ફાઇલમાં નોટિંગ કરી માર્કેટ ખાલી કરાવવા લીલીઝંડી આપી દેતા હવે એસ્ટેટ વિભાગ દ્વારા નોરતાં બાદ માર્કેટ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાય તેવા સંકેતો મળી રહ્યા છે. એસ્ટેટ વિભાગ દ્વારા વેપારીઓને નવરાત્રી સુધીનો સમય અપાશે અને ત્યારબાદ થડા, દુકાન અને વખારને ખાલી કરવામાં નહીં આવે તો સીલ કરી દેવાશે.