આરોગ્યના સહારે 15 દિવસમાં 7 કરોડ ઘરે પહોંચવાનું લક્ષ્ય

કેન્દ્ર સરકાર મિશન 2024 પહેલાં ‘આયુષ્માન ભવ અભિયાન’ હેઠળ 7 કરોડ નવા પરિવારો સુધી પહોંચવાની તૈયારીમાં છે. એક પરિવારમાં સરેરાશ 5 સભ્ય હોવાનું માનીને અંદાજે 35 કરોડ નવા લોકોનાં આયુષ્માન કાર્ડ બનાવવાનું લક્ષ્ય છે. 2018માં કેન્દ્ર સરકારે આયુષ્માન યોજનામાં આવરી લેવા માટે 10.74 કરોડ પરિવાર એટલે કે અંદાજે 50 કરોડ લોકો ઓળખી કાઢ્યા હતા. હવે લાભાર્થીઓની સંખ્યામાં 2011 પછી નવી વસ્તીગણતરી ન થઈ હોવાથી ન નોંધાયેલા લોકોને પણ જોડવાના છે. આવા 2 કરોડ પરિવાર એટલે કે અંદાજે 10 કરોડ લોકો છે.

કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં 25 કરોડ આયુષ્માન કાર્ડ તૈયાર કરી ચૂકી છે. સરકાર 2 ઑક્ટોબર સુધી આયુષ્માન લાભાર્થીઓનો કુલ આંકડો વધીને 60 કરોડ કરવા ઇચ્છે છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નવા લાભાર્થીઓમાં કચરો વીણનારા, ભિક્ષુકો, ઘરનોકરો, પરિવહનના કર્મચારીઓ, હૅલ્પર, પેઇન્ટર, મિસ્ત્રી પણ જોડાશે.

આયુષ્માન મેળામાં મધ્યમ વર્ગની પણ નિ:શુલ્ક સારવાર કરાશે
અભિયાન હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આયુષ્માન યોજના સાથે જોડાયેલા તમામ 1.17 લાખ હૅલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર આયુષ્માન મેળા યોજાશે. તેમાં ગરીબની સાથેસાથે મધ્યમ વર્ગની પણ નિ:શુલ્ક સારવાર કરાશે. લાભાર્થી હશે તેને તરત જ કાર્ડ બનાવાશે. તમામ બ્લોક હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજોમાં પણ આવા કેમ્પ લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *