ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.6 થી 8માં વિદ્યા સહાયકોની ભરતીનો નિર્ણય સ્થગિત કરાયા બાદ હવે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતનથી કામગીરી સોંપવાની જાહેરાત કરી છે અને તેના માટે શિક્ષણ વિભાગે શાળાઓની કચેરીના નિયામકને પરિપત્ર કરી આદેશ આપ્યો છે. જેના પરિણામે યુવા બેરોજગારોને ફરી નોકરી મેળવવા ખાનગી પેઢીઓ અને કંપનીઓના પગથિયા ઘસવા પડશે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
શિક્ષણ વિભાગના નાયબ સચિવ સતીશ જે.પરમારે નિયામક શાળાઓની કચેરીના નિયામકને પત્ર લેખિતમાં તાકીદ કરી છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પ્રાૈઢ શિક્ષણ)એ મંજૂરી આપેલી છે.
આ મંજૂરી અન્વયે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને શરતોને આધીન કામગીરી સોંપવાની રહેશે.