રાજકોટની રામાપીર ચોકડી પાસે બ્રેકર દ્વારા ઇમારતને તોડવાનું શરૂ, 20 દિવસ કામગીરી ચાલશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનાં ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે શહેરના રામાપીર ચોક પાસે અનઅધિકૃત રીતે ખડકાયેલ 5 માળની ઇમારતને બ્રેકર અને હથોડાથી તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આસપાસમાં રહેણાંક વિસ્તાર છે અને JCB પણ આ વિસ્તારમાં લાવવું શક્ય નહીં હોવાથી બ્રેકર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઈને આ કામગીરી આગામી 15થી 20 દિવસ સુધી ચાલશે.

અરજદારને નોટિસ ફટકારી છતાં બાંધકામ દૂર ન કર્યું પ્રાપ્ત વિગત મુજબ વેસ્ટ ઝોનના વોર્ડ નં-1માં રામાપીર ચોકથી નાણાવટી ચોક તરફ જતા 150 ફુટ રીંગ રોડ પાસે લાભદીપ સોસાયટીમાં આવેલ ભાવિકભાઇ પટેલ નામના અરજદારની આ કોમર્શિયલ ઇમારતનું બાંધકામ ગેરકાયદેસર રીતે ખડકાયાનું ખુલ્યું હતું. જેને લઈને મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અરજદારને નોટિસ ફટકારવામાં આવી હતી તેમછતાં આ અરજદાર દ્વારા કોઇ અનઅધિકૃત રીતે ખડકાયેલ આ બાંધકામ દૂર નહીં કરાતા આ ઇમારતના ગ્રાઉન્ડ ફલોર તેમજ પાંચ માળના અંદાજીત 20 હજાર ચો.ફુટનું બાંધકામ તોડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

15-20 દિવસમાં મેન્યુઅલી બાંધકામ તોડી પડાશે રાજકોટ મહાનગરપાલિકાનાં એટીપી પ્રદીપ કંડોલિયાએ જણાવ્યું હતું કે, આ ગેરકાયદે બાંધકામને લાગૂ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી સ્થાનિક સલામતીના ભાગરૂપે લોકોની સેફટીને ધ્યાને લઇ આ બાંધકામને દૂર કરવાની કામગીરી મેન્યુઅલી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન ડિમોલીશનની આ કામગીરીમાં આસી. ઇજનેર, સર્વેયર, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગના કર્મચારીઓ જોડાયા છે. જોકે, અંદાજે 20,000 ચો.મી. જેટલું આ બાંધકામ મેન્યુઅલી તોડી પાડવામાં અંદાજે 15-20 દિવસ જેટલો સમય લાગે એવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *