ખાખી એટલે ભરોસો, વિશ્વાસ અને સુરક્ષાની ગેરંટી. પણ વિકસિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બનતી ક્રાઇમની ઘટનાઓથી હવે શાંત ગુજરાતીઓનો ગુસ્સો ચરમસીમાએ છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ પોલીસ એક્શનમાં છે, પણ જાણે કે ગુનેગારોને પેટનું પાણી પણ હલતું ન હોય તેમ એક બાદ એક પોલીસ સામે સવાલ ઉભા કરતી ઘટના બની રહી છે.
દરેક ઘટના બાદ એક સેમ પેટર્ન પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ આવીને જનતાને બાંયધરી આપે છે કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે. પણ હવે ખાખીની બાંયધરી પર જનતાને ભરોસો રહ્યો નથી. અને ઠેર-ઠેર જનતા જ કાયદો હાથમાં લઇ રહી છે. અને આ ગુજરાત કે કોઈ પણ લોકશાહી કે વિકસિત સ્ટેટ માટે સારી બાબત નથી.
આજે 16 એપ્રિલે રાજકોટમાં એક સિટી બસચાલકે બેફામ બસ હંકારી 6-7 વાહનોને અડફેટે લેતા 4 લોકોના મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ આક્રોશિત જનતા રસ્તા પર આવી ગઈ અને બસમાં તોડફોડ અને ડ્રાઇવરને માર મારી ગંભીર ઈજાગ્રસ્ત કરી દીધો હતો.