રાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત હરિ ઓમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માઇન્ડ રેકી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર આજે 10 માર્ચને સોમવારના રોજ બપોરે 4 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે મહિલાઓનું વિશિષ્ટ સન્માન અને મહિલાઓ માટે સેમિનાર યોજાશે. આ સેમિનારમાં અતિથિ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવશે.
જેમાં બ્રહ્માકુમારી સંસ્થાના અંજુદીદી દ્વારા યોગ અને ધ્યાનના ફાયદા તેમજ ડિપ્રેશનથી કઈ રીતે બચવું તે અંગે માર્ગદર્શન અપાશે, ડો.દર્શનાબેન પંડ્યા સ્ત્રીઓને લગત સમસ્યાનું નિવારણ તથા કેન્સરથી કઈ રીતે બચવું તે અંગેની માહિતી આપશે તેમજ સિનિયર વકીલ ભાવનાબેન જોશીપુરા સ્ત્રીઓને આત્મનિર્ભરતાથી કઈ રીતે જીવવું તથા સ્ત્રીઓને વિવિધ કૌશલ્ય તેમજ રોજગારલક્ષી તાલીમ અંગેની ચર્ચા કરશે. આ સેમિનારમાં જલ્પાબેન રાવલ તથા હિતેશભાઈ રાવલ તેમજ ડો.હિરેન વિસાણી (બાળરોગ નિષ્ણાત) દ્વારા મહિલાઓના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તી માટે આયોજન કરવામાં આવ્યું છે.