રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાનું ફરીથી સામે આવ્યું છે. તાજેતરમાં મેયર નયનાબેન પેઢડીયાનાં મહાકુંભ પ્રવાસમાં તેઓ માત્ર રૂપિયા 2 પ્રતિ કિ.મી. લેખે સરકારી ઇનોવા લઈ ગયા હોવાનું ખુદ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું. જોકે, ગઈકાલે મેયરે નિયમ મુજબ રૂ. 10 પ્રતિ કિ.મી. લેખે 34,780નું બિલ ચૂકવ્યું હતું અને આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરિવાર સાથે મહાકુંભ પ્રવાસને લઈને મને ટાર્ગેટ બનાવવામાં આવી છે તેમજ લોકો સમક્ષ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 144 વર્ષ બાદ આવેલા અવસરને કારણે હું પરિવાર સાથે ધાર્મિક યાત્રાએ ગઈ હોવા છતાં ષડયંત્રનો ભોગ બની છું. પ્રદેશ મોકો આપશે તો રજૂઆત કરીશ.
મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બે રૂપિયા કિલોમીટરવાળી વાત કરી મારી છબી ખરડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવાર સાથે હું કુંભમાં સ્નાન કરવા ગઈ હતી. જેમાં મેં કોઈપણ સામાન્ય નાગરિકની જેમ પ્રવાસ કર્યો છે. કોઈ VIP સુવિધા લીધી નથી. હું ગઈ ત્યારે રાષ્ટ્રપતિ પણ ગયા હતા. મનપા કમિશનરની પરવાનગી લઈને હું કુંભમાં ગઈ હતી અને પ્રાઇવેટ કાર ન મળતા ઝડપથી કોર્પોરેશનમાં પરત આવી શકાય તે માટે હું નિયમ મુજબ સરકારી કાર લઈને ગઈ હતી.