ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના કબાભાઈ માલધારી દ્વારા એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદાર તરફે અરજીમાં જણાવવામાં હતું કે, સૌરાષ્ટ્રના માલધારીઓ ત્રણથી ચાર મહિના ગુજરાતમાં અને ત્યાર બાદનો સમયગાળો મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશમાં ગુજારતા હોય છે. વર્ષ 1952માં તેમને સેટલ કરવા સરકાર દ્વારા રિઝોલ્યુશન કરવામાં આવ્યું હતું. જેથી માલધારી જીવન નિર્વાહ માટે જમીન રાખી શકે તે માટે ખેડૂત તરીકે ટ્રીટ કરાયા હતા. જોકે, પાછલા કેટલાક સમયથી માલધારીઓને ખેડૂત તરીકે માનવામાં આવતા નથી. જેથી જમીન વેચવા-ખરીદવાના તેમના હક્ક રહેતા નથી. રિઝોલ્યુશન હોવા છતાં અમલીકરણનો પ્રશ્ન છે!
કારણ કે, માલધારી કોણ તેની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ નથી. પશુઓ રૂપી માલને રાખનારા એટલે માલધારી તે સાદી સમજણ છે. એટલે માલધારી હોવાનું સર્ટિફિકેટ ક્યાંથી લાવવું તે પ્રશ્ન છે! સૌરાષ્ટ્રમાં ભરવાડ, ચારણ અને આહીર જેવી માલધારી જ્ઞાતિઓ છે. માલધારીઓની જમીન જપ્ત કરાય છે. અગાઉ માલધારી કોણ તે નક્કી કરવા સચિવ, જૂનાગઢ અને રાજકોટના કલેકટર વગેરે સભ્યોની કમિટી 2016માં બની હતી. આ કમિટી માલધારી હોવાનું સર્ટિફિકેટ કેમ આપવું તે નક્કી કરવાની હતી. જોકે, બાદમાં આ કમિટીનું શું થયું તેની ખબર નથી.