પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ત્યાં જવા ઉત્સુક છે. ટ્રેન અને ફ્લાઈટમાં ભારે ભીડ થતી હોય ગુજરાત એસ.ટી. અને ટૂરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકો દ્વારા પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી. જે એસટી વિભાગે સ્વીકારી છે. 4 ફેબ્રુઆરીથી રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી વહેલી સવારે 5 વાગ્યાથી પ્રયાગરાજ જવા માટે એસટી વોલ્વો બસ સેવા શરૂ થશે. જેમાં 4 દિવસની મુસાફરી માટે પ્રતિ વ્યક્તિ રૂ.8800 ટિકિટ રહેશે.
આ માટે બસનું એસ.ટી. નિગમની વેબસાઈટ પરથી ઓનલાઈન બુકિંગ શરૂ થઇ ગયું છે. બસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એસ.ટી. વિભાગ દ્વારા રહેવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ એમપી બોર્ડર મુકામે કરવામાં આવશે. આ ઉપરાંત પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રયાગરાજ જતી મોટાભાગની ટ્રેન ફુલ થઈ જતાં અને રાજ્ય સરકારે વિવિધ શહેરમાંથી બસ સેવા શરૂ કરી છે.