સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્તોત્ર છે. જેને લઈને તેમના જન્મદિવસ 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર એવા રામકૃષ્ણ આશ્રમમાં આજે આ નિમિતે યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં યુવાનોને માર્ગદર્શન માટે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા (IAS), ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તથા વી.એચ.પી. ઑફ અમેરિકાના ભૂતપૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ફૉર યુથ, યુ. એસ. એ. ડૉ. વીણાબહેન ગાંધી હાજર રહ્યા હતા.
આ તકે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, વિવેકાનંદજીની દરેક છબીમાં શક્તિ પ્રતિબિંબિત થાય છે, આથી સહુ યુવાનો આશ્રમની પવિત્ર ભૂમિમાં સંકલ્પ લે કે તેઓ નબળાઈનો ત્યાગ કરશે. ઉપરાંત સંમેલનમાં યુવાનોના પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું. સંમેલનમાં કુલ 500 જેટલા યુવાનો જોડાયા. અંતમાં સહુને ભોજન પીરસવામાં આવ્યું અને પુસ્તકોના સેટ ભેટ આપવામાં આવ્યો હતો.