ગોંડલમાં હડકાયા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં ગોંડલમાં હડકાયા કૂતરાએ 10 લોકોને બચકા ભર્યા હતા. શહેરના કાશી વિશ્વનાથ રોડ પર ખાનગી હોસ્પિટલ પાસે 10થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા.
ગોંડલના વિવિધ વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા, વૃધ્ધો સહિતના લોકોને હડકાયા શ્વાને બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. હડકાયા શ્વાન નો ભોગ બન્યા માં હારૂનભાઇ ઈસ્માઈલભાઈ ચાવડા ઉં 65, ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ ઉ 59, તકદીર યુનુશભાઇ ઉ 12, તીર્થા રાહુલભાઈ શાહ ઉ 9, જ્યોતિબેન મુકેશભાઈ ઉ 51, નેહાબેન ફાલ્ગુનભાઈ ગોંડલીયા ઉ 35 તેમજ વિનાભાઈ કટારા ઉ 31 નો સમાવેશ થાય છે હડકાયા શ્વાને લોકોના ઘરમાં ઘૂસીને બચકા ભરી આંતક મચાવ્યાની લોકો ફરિયાદ કરી રહ્યા હતા.
શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં દિવસેને દિવસે વધતા જતા હડકાયા શ્વાન કરડવાના બનાવોને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતા તંત્રના આંખ આડે કાન હોય તેમ મુકપ્રેક્ષક થઇને જોઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. હડકાયા શ્વાનને લઇ સ્થાનિકોમાં ફફડાટ છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમે હડકાયા શ્વાનને લઇ અનેકવાર તંત્રને રજૂઆત કરી પણ તંત્ર આળસ મળરડીને કાર્ય કરતી જ નથી. અનેક વાર આવા બનાવો બને છે પણ તંત્ર જવાબદાર સામે કુંભકર્ણની નિંદ્રામાં સુઇ રહી છે.