રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતો ચિરાગ પ્રવિણભાઇ કાનાણી (ઉ.વ.23) ગત તા.3.01.2025ના રોજ પોતાના ઘરેથી નીકળી શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા માટે આવ્યો હતો. બાદ તે પરત ઘરે ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, તેનો કોઇ પતો ન લાગતા તેની માતાએ એ-ડીવીઝન પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમ નોંધ કરી તપાસ હાથ ધરી છે. યુવાને બ્લ્યુ કલરનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેણે જમણા હાથની કલાઇ પર દીલ ત્રોફાવેલ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન સંપર્ક કરવા જાણ કરાઈ છે.
અન્ય બનાવમાં રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ શહીદ બ્રિજ પરથી પટકાતા અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે. આજે સાંજના સમયે રાજકોટ રૈયા ચોક ખાતે અજાણ્યો યુવક બ્રિજ ઉપરથી નીચે પટકાતા ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે 108ને જાણ કરવામાં આવતા સ્ટાફે આવી યુવકને મૃત જાહેર કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી. યુવકનું અકસ્માતે મોત નીપજ્યું કે પછી આત્મહત્યા કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.