કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના કથિત અપમાનના મુદ્દા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ફરી નિશાન સાધ્યું છે. ગુરુવારે કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ કાર્યકારિણીમાં ખડગેએ કહ્યું કે ગૃહમંત્રીના બચાવમાં વડાપ્રધાને નિવેદન જારી કર્યું છે. રાહુલ ગાંધીના વિરુદ્ધ ખોટો કેસ નોંધવામાં આવ્યો છે. આ છે આજના સત્તાધીશોનું બંધારણ અને તેમના નિર્માતાના પ્રત્યેની વિચારસરણી. ખડગેએ કહ્યું કે અમે કોઇનાથી ડરવાવાળા નથી, કે ન ઝૂકવાવાળા છીએ.
બાબાસાહેબ અને નેહરુ-ગાંધીના સન્માન, તેમના વારસાને બચાવી રાખવા માટે અમે અંતિમ (છેલ્લા) શ્વાસ સુધી લડતાં રહીશું. ખડગેએ આરોપ લગાવ્યો છે કે સરકારે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. હાલમાં ચૂંટણી સંબંધી જાણકારીઓ સામાન્ય લોકોની પહોંચથી દૂર કરી દીધી છે. સરકાર આખરે શું છુપાવવા માગે છે. આની પહેલાં પણ વોટર લિસ્ટથી નામ કાપવા અને વોટિંગના આંકડામાં સરકારની શંકાસ્પદ ભૂમિકા રહી છે. તેનાથી લોકોમાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને લઇને અવિશ્વાસ પેદા થયો છે.
2025ના રોડમેપ પર મંથન, યુવા શક્તિને તક અપાશે ખડગેએ કહ્યું કે કોંગ્રેસ 2025ના રોડમેપ પર વિચાર કરી રહી છે. વર્કિંગ કમિટીમાં આ અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે. વર્ષ 2025 પાર્ટીના સંગઠનાત્મક મજબૂતીકરણને સમર્પિત કરવામાં આવશે. સંસ્થામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉદયપુરના જાહેરનામા મુજબ નિમણૂકો કરવામાં આવશે. યુવાનોને જીતનાં લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવશે. યુવાશક્તિને તક આપવાની જરૂર છે. નવા નેતૃત્વને ઉપર લાવવાની જરૂર છે.