રાજકોટ મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ડ્રાઇવ સાથે નમૂનાની ડ્રાઇવ પણ ચાલુ રાખવામાં આવી છે. જેમાં આજે રૈયારોડ અને નાનામૌવા રોડ પરથી ગાયના ઘી તેમજ બટરના પાંચ નમૂના લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ડી- માર્ટથી જૂનો મોરબી રોડ તથા આંબેડકર ચોકડીથી કોઠારીયા રોડ સુધીના વિસ્તારમાં 27 વેપારીઓને ત્યાં અલગ-અલગ 20 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. આ પૈકી કુલ 9 વેપારીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શુધ્ધના નામે વેંચાતા છુટક અને કંપની પેકડ દૂધની બનાવટોનું આ રીતે પરીક્ષણ ચાલુ રહ્યું છે. જેમાં આજે રૈયારોડનાં સ્મશાન સામે આવેલા વેજા ગામ રોડ પર આવેલા સતવા માર્કેટીંગમાંથી મિલ્કી મિસ્ટ ગાયનું ઘી, મલાઇ પનીર, પ્રોસેસ્ડ પનીર, કુકીંગ બટરના ચાર નમૂના પેકિંગમાંથી લીધા હતા. નાનામૌવા રોડ જય ભીમ સર્કલ પાસે ગોલ પાર્કમાં આવેલ બ્લીનકીટ ડાર્ક સ્ટોરમાંથી પારસ દેશી ઘી અને આબાદ ગાયના ઘીનો નમૂનો લીધો હતો.