આટકોટ જૂના પીપળીયા પાસેથી વહેતી ભાદર નદી પર 40 લાખનાં ખર્ચ કોઝવે નવો બનશે, જેનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું, આગામી સમયમાં કામ શરૂ થશે. જૂના પીપળીયા ગામે ભાદર નદી પર કોઝવે બનાવવાની માગણી ગામ લોકો ઘણા સમયથી કરી રહ્યા હતા કેમકે લોકોને સામા કાંઠે જવું હોય તો આ જ કોઝવેનો ઉપયોગ કરવો પડતો હતો.
ચોમાસામાં આ કોઝવે પર સતત પાણી વહેતું હોવાથી લોકોના નદીમાં પડી જવાના કે અકસ્માત થવાના બનાવો વધી રહ્યા હતા. આથી જર્જરિત બની ગયેલા આ કોઝવેને નવો બનાવવા લાંબા સમયથી માગણી કરાતી હતી જે બાબત મંત્રીના ધ્યાને આવતાં મંત્રીએ આ કોઝવે મંજૂર કરાવ્યો હતો અને હવે 40 લાખનાં ખર્ચે નવો કોઝવે બનશે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી.