યુનિવર્સિટીએ અગાઉ સંલગ્ન કોલેજોના આચાર્યો અને ભવનના વડાઓને પરિપત્ર મોકલીને કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ NET પરીક્ષા પાસ કરી હશે તેને જ શૈક્ષણિક વર્ષ 2024-25થી પીએચ.ડી.માં પ્રવેશ આપવામાં આવશે તથા જે વિષયની પરીક્ષા UGC NET દ્વારા લેવામાં નહીં આવે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજી પ્રવેશ આપવામાં આવશે. અગાઉ પીએચ.ડીમાં પ્રવેશ માટે 10 ઓક્ટોબર સુધી ઓનલાઈન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાતું હતું. બાદમાં રજિસ્ટ્રેશનની મુદત વધારીને 15 ઓક્ટોબર કરવામાં આવી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે. પીએચ.ડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ આજે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દેવું પડશે.
યુજીસીએ અગાઉ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે પરિપત્ર બહાર પાડીને કહ્યું હતું કે, હવે પીએચ.ડીના પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ દેશભરમાં એકમાત્ર નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ આપવાની રહેશે. આ પરીક્ષાના આધારે જ દેશની તમામ સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મળવાપાત્ર થશે. આ સાથે જુદી જુદી યુનિવર્સિટીઓએ પીએચ.ડી માટે પ્રવેશ પરીક્ષા લેવાની રહેશે નહીં. અત્યાર સુધી પીએચ.ડી માટે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેતી હતી.