રાજકોટ જિલ્લાના જસદણના શિવરાજપુર ગામે રહેતા કારખાનેદાર આધેડે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઘર છોડી દીધા બાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કારખાનેદારે 6 શખસો સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ખોડીયારનગરમાં રહેતા છગનભાઈ જીવાભાઈ મુલાણી (ઉ.વ.49) નામના આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આધેડનું નિવેદન લઈ જસદણ પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં છગનભાઈએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોય આ અંગે તેમણે જસદણ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં આરોપીઓ તરીકે જસદણમાં રહેતા સમીર, હુસેન, ઉદય દિલીપભાઈ ધાધલ ભાભલુ, શિવરાજપુરમાં રહેતા ક્રિપાલ ગભરૂભાઈ મોડા અને અશોક ચનાભાઈ ગોલાણીના નામ આપ્યા હતા.