રાજકોટના પંચનાથ પ્લોટ સ્થિત દિગંબર જૈન દેરાસરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર ઉપર ગત 20.08.2024ના રોજ જીવલેણ હુમલો કરવાના ગુનામાં ફરાર શખસ સામે ભક્તિનગર પોલીસમાં ભોગ બનનારના ભાઈએ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મારામારીના ગુનામાં 8 મહિનાથી વોન્ટેડ હોઈ, ભક્તિનગર પોલીસે ગત 14 તારીખે જ ઝડપી પાડ્યો હતો. જ્યારે જૈન દેરાસરમાં બનેલી હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આજે સામે આવ્યા છે.
મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સોરઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયૂરભાઈ પુરુષોત્તમભાઈ સગપરિયા (ઉં.વ.39)એ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિધવા રોડ ઉપર પહોચ્યો ત્યારે કોઈ કારચાલકે અડફેટે લેતાં ઈજા થઇ છે એવું જણાવતાં અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.