યુનિવર્સિટી અને કોલેજોની કેન્ટીનમાં વિદ્યાર્થીઓને મળતી સૌથી પ્રિય વસ્તુ પિઝા, બર્ગર, સમોસા, નૂડલ્સ સહિતની ફાસ્ટ ફૂડની વસ્તુઓ પીરસવામાં નહીં આવે. હવે હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની કેન્ટીનમાં માત્ર હેલ્ધી ફૂડ જ પીરસવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ યુનિવર્સિટીઓ અને કોલેજોની કેન્ટીનમાં પીરસવામાં આવતી ખાદ્ય વસ્તુઓ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. યુજીસીના સચિવ પ્રો.મનીષ આર જોશીએ યુનિવર્સિટીના વીસી અને કોલેજોના પ્રિન્સિપાલને પત્ર પાઠવ્યો છે. જેમાં કેન્ટીનમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. તેના બદલે હેલ્ધી ફૂડને વિકલ્પ તરીકે પ્રમોટ કરવું પડશે.
કેન્ટીનમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આહારને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના જ અધિકારીને કેન્ટીનમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટના આધારે UGCએ નોટિસ જાહેર કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, કેમ્પસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણ પર અને તેના પ્રચાર પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. સ્થૂળતા, ડાયાબિટીસ અને અન્ય રોગોને રોકવા માટે કેમ્પસમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કહેવામાં આવ્યું છે.