માલિયાસણ પાસે આવેલી પીપળિયાની ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં ભણતા 35 વિદ્યાર્થીને સરકારી શાળામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. 24 વિદ્યાર્થીને પીપળિયા ગામ નજીક આવેલી જુદી જુદી સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે જ્યારે 11 બાળકોને આંગણવાડીમાં એડમિશન આપવામાં આવ્યા છે. અત્યાર સુધી પીપળિયાની ગૌરી પ્રિ-પ્રાઇમરી નામથી ચાલતી નકલી સ્કૂલમાં ભણતા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ દ્વારા આ તમામ બાળકોને ગામની નજીકની શાળામાં પ્રવેશ અપાયો છે.
જ્યારે બીજી બાજુ છેલ્લા 6 વર્ષથી પીપળિયામાં નકલી સ્કૂલ ચલાવતા તિવારી દંપતી હાલ ગામમાંથી સામાન લઈને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ દંપતી પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત રાજકોટની જે ત્રણ સ્કૂલ સહિત કુલ 8ના નામ સંડોવાયેલા છે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર પણ નજર રહેશે. આ તમામ બાબતો વચ્ચે નકલી સ્કૂલ ચલાવનાર દંપતી જેઓ તે જ ગામમાં રહેતા હતા તેઓ હાલ સામાન-સામગ્રી લઈને નાસી ગયા હોવાનું જાણવા મળ્યું છે.