ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયાની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. તપાસ દરમિયાન સાગઠિયા સામે નકલી મિનિટ્સ બુક બનાવવાનો અલગથી ગુનો નોંધાયો હતો તે ગુનામાં પોલીસે સાગઠિયાનો જેલમાંથી કબજો મેળવ્યો હતો. આજે તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે.
અગ્નિકાંડની પોલીસે તપાસ શરૂ કરતાં જ મનપાની ટીપી શાખાનું વરવું ચિત્ર બહાર આવ્યું હતું. પોલીસે ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોષી સહિત ત્રણ કર્મચારીની જેતે સમયે ધરપકડ કરી તેને રિમાન્ડ પર લીધા હતા. પૂછપરછ દરમિયાન નવો ભાંડાફોડ થયો હતો. દુર્ઘટના બન્યા બાદ સાગઠિયાએ પોતાના પાપનો ઘડો ફૂટે નહીં અને ગેમ ઝોનનું ડિમોલિશન નહીં થવા પાછળ ક્યા કારણો છે તે સહિતના મુદ્દાને ઓફિશિયલ કરવા માટે એક નકલી મિનિટ્સ બુક બનાવી હતી અને તે મિનિટ્સ બુકમાં શાખાના કર્મચારીઓને ધમકાવીને સહીઓ લીધી હતી.