અગ્નિકાંડને નકલીકાંડ કરનારા બે અધિકારી કોર્ટમાં રજૂ

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગઈકાલે (15 જૂન) જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મનપા ટાઉન પ્લાનિંગ શાખાના ATP (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર) રાજેશ મકવાણા તેમજ જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. બંને દ્વારા ગેમ ઝોન દુર્ઘટના બાદ બચવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બંનેએ TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવ્યું હોવાનું સામે આવતા ટીમ પુરાવાઓ એકત્ર કરી તપાસ કરી રહી છે. જે અંતર્ગત આજે (16 જૂન) બંનેને ક્રાઇમ બ્રાન્ચથી કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અદાલત સમક્ષ બંનેના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગ્નિકાંડ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન આરોપીઓએ અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના વધુ બે આરોપીઓની સંડોવણી ખુલી હતી. પોલીસ તપાસમાં રાજેશ મકવાણાની વોર્ડ નંબર 10માં જવાબદારી નહીં હોવા છતાં ગુનાના કામે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ATP રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમજ આજે બંનેને 7 દિવસના રિમાન્ડની માગ સાથે એ. એસ. ખંડેલવાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *