શહેરમાં 105 ફૂટ રિંગ રોડ પર ટેલિફોન એક્સચેન્જ પાસેની અનામિકા સોસાયટીમાં માવતરના ઘરે રિસામણે આવેલ પરિણીતાએ વાંકાનેર રહેતા પતિ સહિતના સાસરિયાંઓ સામે ફરિયાદ કરતાં મહિલા પોલીસે પતિ, સાસુ, નણંદ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અનામિકા સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા નીતાબેન ચંદ્રકાંતભાઇ સોલંકીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે વાંકાનેરમાં આંબેડકરનગરમાં રહેતા પતિ ચંદ્રકાંત કિશોરભાઇ સોલંકી, સાસુ મુકતાબેન અને નણંદ કંચનબેનના નામ આપ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના આઠ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને સંતાનમાં એક પુત્ર હોવાનું અને મારા સસરા તાવડી બનાવવાનું કામ કરતાં હોવાનું અને સાસુને પેરાલિસિસનો હુમલો આવતા તે પથારીવશ હોય તેની સેવા કરતી હોય પતિને પાડોશમાં રહેતી એક સ્ત્રી સાથે મિત્રતા થતા પતિ મારી સાથે ઝઘડાઓ કરી મારકૂટ કરતાે હોય અને જેથી મને જાણ થતાં તેને બોલાવતા ન હોવાનું જણાવતા હતા.
ત્યાર બાદ તે સગર્ભા થતા ફરી સ્ત્રી સાથે વાતચીત કરતો હોય અને નણંદ ઘર પાસે જ રહેતા હોય ચઢામણી કરતા હોય પતિ ત્રાસ આપતો હતો અને સાસુ મેણાં મારતા હોય અને પતિ મારા પિતાના ઘરેથી દહેજ લઇ આવવાનું કહેતો અને તેમાં વોશિંગ મશીન, સોફા સહિતની ઘરવખરીની વસ્તુઓની માંગ કરતો હોય જેથી તેના ભાઇને વાત કરી હતી અને તેના મોટા બાપુના પાણીઢોળમાં ગયા હતા બાદમાં સાસરે જતા પતિ સહિતનાએ ઝઘડો કરી મારકૂટ કરી કાઢી મુકતા તેને પોલીસની ગાડી બોલાવી તેના ઘરે આવી ફરિયાદ કરી હોવાનું જણાવતા જમાદાર ચુડાસમા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.