રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કૈલાસબેન સોલંકી (ઉં.વ.27)એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કૈલાસબેનના 8 મહિના પહેલા જ લગ્ન થયા હતા તેમના પતિ દિલીપસિંહ સોલંકીને કાલાવડ રોડ પર શ્રીજી હોટલ પાસે પાનની દુકાન છે. કૈલાસબેનના પિતા નાનુભાઈ ગોહિલ ખેતી કામ કરે છે. ગઈકાલે રાત્રે જમીને વાસણ સાફ કર્યા બાદ કૈલાસબેન પોતાના રૂમમાં ઉપરના માળે જતા રહ્યા હતા. પતિ દિલીપસિંહ અને ઘરના બીજા સભ્યો ટીવી જોતા હતા. ટીવી જોઈને પ્રદીપસિંહ ઉપર રૂમમાં સુવા માટે ગયા ત્યારે રૂમમાં બાથરૂમનો દરવાજો બંધ હોવાથી ખખડાવતા તે ન ખોલતા ઘરના બીજા સભ્યોને બોલાવી દરવાજો તોડતા, કૈલાશબેન બાથરૂમમાં ગળાફસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવતા ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા. યુનિવર્સિટી પોલીસે મૃતદેહ પોઅમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોનાના દાગીનાની ચિલઝડપ તથા ચોરીનો માલ રાખનાર શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવતા પોલીસ કમિશ્નર દ્રારા પાસા મંજુર કરવામાં આવતા આરોપી ધર્મેશ ભુરા સનુરા (ઉ.વ.31)ને વડોદરા જેલ તથા કમલેશ હર્ષદ માંડલીયા (ઉ.વ.24)ને સુરત જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આરોપીઓએ છેલ્લા દોઢ માસમાં ચાર ચિલઝડપને અંજામ આપી ચુક્યાનું અને તમામ મુદ્દામાલ સોની બજારમાં પેઢી ધરાવતા વેપારી કમલેશ હર્ષદભાઈ માંડલીયાને વેંચ્યા હતાં. આરોપી મોટાભાગે 60 થી 70 વર્ષની ઉમર ધરાવતી વૃદ્ધાઓને જ ટાર્ગેટ કરતા હતા. જેમાં સાંજના સમયે ઘરની બહાર નીકળતી વૃદ્ધાઓએ ગળામાં પહેરેલ સોનાના ઘરેણાંની ચિલઝડપ આચરી બાઈક પર ફરાર થઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. ઉલ્લેખનીય છે કે, ચોરીનો માલ ખરીદનાર કમલેશ માંડલીયા લિસ્ટેડ બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર હોવાનું તેમજ આરોપી ધર્મેશ સનુરા ચાર ગુન્હામાં તેમજ કમલેશ માંડલીયા બે ગુન્હામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે.