સુરત શહેરના વરિયાવ વિસ્તારમાંથી વિચિત્ર બનાવ સામે બન્યો છે. મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી. દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વીડિયોમાં કેદ કરી લીધી હતી. 7 વીઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને સળગાવતો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ખેતર સળગાવનારી માતા-પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરિયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલે (ઉં.વ.53) જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે. પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે. પરિવારમાં ત્રણ બહેન- પાર્વતી, મણિ અને પ્રતિભા તથા ચાર ભાઈ- મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતાં. 7 ભાઈ-બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે.
અર્જુનના મૃત્યુ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી. ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માગતા હતા, પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બૂ તેનો વિરોધ કરે છે. પોતે મિલકતમાં હિસ્સો માગે છે. આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે.