રાજકોટના 5 બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ

રાજકોટ શહેર અને જિલ્લાની સમીક્ષા બેઠક આજે (20 જુલાઈ) પ્રભારીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તાજેતરમાં જે વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બની તેને ધ્યાનમાં રાખી થયેલા ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાના પાંચ બ્રિજ નબળા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પાંચેય બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવાનુ જાહેર થયું છે. તો સાથે જ તેમના દ્વારા નેશનલ-સ્ટેટ હાઇવે, રસ્તાઓ પર પડેલા ખાડા સત્વરે બુરવા તાકીદ કરવામાં આવી હતી. જ્યારે મહાનગરપાલિકામાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન મનપામાં BU પરમિશન, ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ લાવવા આદેશ આપવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્યના મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને જાત-નિરીક્ષણ કરી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં આજે રાજકોટ જિલ્લામાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના વિવિધ માર્ગોને ચોમાસાની ઋતુ દરમિયાન થયેલું ધોવાણ અને નુકસાન તેમજ નુકસાન બાદ આ માર્ગોના દુરસ્તીકરણ માટે હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. વરસાદના પરિણામે રોડ રસ્તાઓ પર પડેલા ખાડા-ગાબડા પૂરવા સહિતનું જરૂરી રિપેરિંગ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને પ્રજાને અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશે પ્રેઝન્ટેશન થકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતે મંત્રીને માહિતગાર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *