આજે અટલ સરોવર ખાતે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 57 દરખાસ્તો આવી હતી. જેમાંથી 1 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે અન્ય એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. આજની બેઠકમાં 45.55 કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. જેમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ પૂર્વ TPEO મનસુખ સાગઠિયા અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર આઇ વી ખેર સામે કોર્ટમાં ફોજદારી કેસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એન્ટી કરપ્શન બ્યૂરોના હાથે ઝડપાયેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને સસ્પેન્ડ કરવા મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક્શન લેવાતા હોવાનું કહેવાની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ પ્રકરણમાં એક પણ પદાધિકારી સંડોવાયેલો ન હોવાનો દાવો કર્યો હતો. સાથે જ તેમના સમયમાં અપાયેલા 139 ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.
આ ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓનો ગ્રેડ-પે વધારવા માટેની માગ સતત બીજી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. 17માં ટોકન દરે લીધેલા બિલ્ડિંગમાં વ્યાપારીકરણ શરૂ કરી દેતા રોટરી મીડ ટાઉન રાજકોટ પાસેથી બિલ્ડિંગ પરત લઈ લેવામાં આવી છે.