સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવી જમીન-મકાનનું કામ કરતા જસ્મિન બાલાશંકરભાઈ માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જસ્મિન માઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી. આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજય આલુસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જમીનના નામે 3.40 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જસ્મિન બાલાશંકરભાઈ માઢક (ઉં.વ.45)એ જણાવ્યું હતું કે ભક્તિનગર સર્કલ મેઘાણી રંગ ભવનમાં પહેલા માળે ઓફિસ નં.101માં મારા મિત્ર જય મોલિયાની જમીન લે-વેચની ઓફિસ આવેલી છે, ત્યાં હું તથા જય મોલિયા બન્ને સારી જગ્યાએ જમીન હોય તો એમાં રોકાણ કરી ભાગીદારીમાં જમીન લે-વેચનો વેપાર-ધંધો કરીએ છીએ એવું વિચારેલું. હું તથા મારા ભાગીદાર જય મોલિયા બન્ને કાર લેવા માટે સુરત ગયા હતા, ત્યાં સુરેશભાઈ તુલસીભાઈ ઘોરી, જે જૂની કાર લે-વેચનો ધંધો કરતા હોય, તેની સાથે મુલાકાત બાદ ગાડી લેવા બાબતે વાતચીત થઈ હતી. ત્યારે સુરેશ ઘોરીએ અમને જણાવ્યું હતું કે હું જૂની કા૨ લે-વેચની સાથે જમીનની દલાલીનું કામ પણ કરું છું. આમ આ રીતે તેમનો પરિચય થતાં એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.