પાટણ જિલ્લાના માર્ગો પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે અને આવા અકસ્માતના બનાવવામાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે, ત્યારે બુધવારે સવારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાગલી ગામ પાસે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. લગ્નમાં જઈ રહેલા ફાગલી ગામના જોશી પરિવારની કાર આગળ અચાનક વન્ય પ્રાણી આવી જતાં એને બચાવવા જતા કાર રોડની સાઈડમાં આવેલ પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેથી કારમાં બેઠેલા એક જ પરિવારના પતિ-પત્ની અને બે પુત્રીઓના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
આ ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ફાગલી ગામના અને મુંબઈ ખાતે સ્થાઈ થયેલો જોશી પરિવાર પાંચ દિવસ પહેલા જ મુંબઈથી ભાણાના લગ્ન પ્રસંગના કારણે ગામમાં આવ્યો હતો. આવતીકાલે કચ્છમાં સમુહ લગ્નમાં ભાણાના લગ્ન હોવાથી ફાંગલીથી કચ્છમાં લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો, ત્યારે ફાગલી ગામથી થોડીક નજીક માર્ગ પરથી અચાનક કોઈ વન્ય પ્રાણી પસાર થતા તેને બચાવવા જતાં શિફ્ટ કાર રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામા ખાબકતા કારમાં સવાર જોશી પરિવારના પતિ-પત્ની અને પુત્રી અને ભાઇની પુત્રીનું પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાગલી માર્ગ પર સર્જાયેલા અકસ્માતના બનાવવાની જાણ ગ્રામજનોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.