રાજકોટના બે સહિત રાજ્યના 40 જેટલા સ્પર્ધાત્મક કસોટીના કલાસિસ ચલાવતા સંચાલકો પર એસજીએસટી ડિપાર્ટમેન્ટે ગુરૂવારે દરોડા પાડયા બાદ સતત બીજા દિવસે પણ 35થી વધુ જગ્યાએ તપાસ ચાલુ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. આ તપાસ પૂર્ણ થયે મોટાપાયે જીએસટી ચોરી બહાર આવવાની સંભાવના સેવાઇ રહી છે ત્યારે બીજીબાજુ આ દરોડાની માહિતી બે દિવસ પહેલા લીક કોણે કરી? તે બાબતે હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
સીજીએસટીના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટના આઇસીઇ, આકાશવાણી ચોકમાં આવેલા કલાસીસ, અમદાવાદના લીબર્ટી, પ્રાયુજ્ય કલાસિસ સહિતના 35થી વધુ સ્થળો પર સતત બીજા દિવસે એડમિશન સહિતના ડેટાની ચકાસણી ચાલુ રહી હતી. દરોડા પાડવા ગયેલી વિવિધ ટીમોએ જે તે સેન્ટરમાં જ ધામા નાખી ગુરૂવારે મોડીરાત સુધી તપાસ કર્યા બાદ શુક્રવારે પણ સવારથી તપાસ ચાલુ રાખી હતી અને કમ્પ્યુટરમાં રહેલા ડેટાની ચકાસણી ચાલુ રાખી હતી. જો કે રાજકોટના નાણાવટી ચોકમાં આવેલા એક કલાસિસ સંચાલકની ઓફિસમાં કમ્પ્યુટરનો ડેટા ડિલિટ કરી નાખવા મુદ્દે કોઇ તપાસ થઇ ન હોવાથી તંત્રમાંથી કોણ ફૂટ્યું તેનું સસ્પેન્સ હજુ યથાવત છે. આ મુદ્ે ઉંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.